ધર્મસ્થાન વિભાગ -  વડવાળા ધામ - દુધરેજ

 

આશ્રમ પરિચય

વડવાળાધામ દર્શન

ગુરુવર્ય અને મહંતશ્રીઓ

સંત સમાધિ દર્શન
 
 
 
 
 
 
 
 
 
 

 
 

 આશ્રમ પરિચય

 

     સૌરાષ્ટ્ર ભૂમિ સંત, શૂરા અને સતીઓની ભૂમિ ગણાય છે. તેમાંય તેનો પંચાળ પ્રદેશ જે પાછળથી સામાન્યતઃ ઝાલાવાડ તરીકે ઓળખાય છે અને હાલ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે તે પ્રદેશ દેવભૂમિ ગણાતો. પશ્ર્વિમ ભારતમાં આવેલા આ પ્રદેશમાં પ્રાચીન વર્ધમાનપુરી તરીકે જાણીતું વઢવાણનગર આવેલું છે. આ વઢવાણ સમયના વહેણ સાથે ઘસાતું ગયું અને અત્યારે તાલુકા મથક તરીકે જાણીતું છે.

      સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર ગામથી પાંચેક કિલોમીટર દુર ઉત્તર દિશામાં ધ્રાંગધ્રા જવાના રસ્તા ઉપર દૂધરેજ નામનું ગામ આવેલું છે. આ દૂધરેજ ગામમાં શ્રીમદ્ શંકરાચાર્યની પરંપરામાં ૨૧ માં શિષ્ય શ્રી નીલકંઠસ્વામીની પ્રેરણાથી અને તેઓશ્રીના શુભ આશીર્વાદથી શ્રીરામીય વૈષ્ણુના ધર્મધામ સમુ શ્રી વટપતિ (વડવાળા દેવ) ભગવાનનું આશ્રમ સ્થાન આવેલું છે. તેમના આરાધ્યદેવ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્રજી છે અને તે શ્રી વટપતિ કે વડવાળા નામે સમગ્ર ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર જાણીતા છે.

 

      મહાવદગિરિ માંથી જન્મ પામેલી ઉન્મત્ત ગંગા કે ઉમાગંગા (હાલની ઉમઈ નદી) ના કિનારે આ સુંદર સ્થાન આવેલ છે. નજીકમાં જ આશ્રમને અડીને સુંદર સરોવર આવેલ છે જેને પયઃસર કે દૂગ્ધસર કહે છે. આશ્રમની શોભા આથી તેમજ તેના કિનારા ઉપર આવેલા વૃક્ષોથી ઘણી વધી છે.

     આશ્રમ વિશાળ પટાંગણથી અને તેમાં આવેલા વટવૃક્ષ નયનમનોહર મંદિર શ્રેણીથી શોભે છે. આશ્રમની પૂર્વ અને દક્ષિણ એમ બે બાજુએ મોટા મોટા દરવાજા છે. પટાંગણની મધ્યમાં શિલ્પકલાની અત્યંત કમનીય કલાકારીગીરીના ધામ સમુ ભગવાન શ્રી વટપતી (શ્રી રામ)નું ભવ્ય મંદિર શોભી રહ્યું છે. એનો પથ્થર બેનમૂન કલાકારીગીરીથી જોનારને પકડી રાખે એવો કલા-સમૃધ્ધ છે. આ મંદિરનું બાંધકામ અને અન્ય સુશોભન આશ્ર્વર્યચકિત કર્યા વિના રહેતા નથી.

 

 

        આ સર્વાગ સુંદર મંદિરની પૂર્વ તરફ વિશાળ વટવૃક્ષના દર્શન થાય છે. આ આશ્રમના પ્રથમાચાર્ય શ્રી ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજીએ વડના દાતણથી ઉછેરેલો ગણાતો આ વડ તેની શીતળ છાયા અને પવિત્ર વાતાવરણથી મંદિર અને પટાંગણ શોભાવે છે.

 

         આ મંદિરની દક્ષિણ દિશાને અડીને ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજી થી આરંભ અત્યાર સુધીના આચાર્યશ્રીઓની ચમત્કારયુક્ત ગણાતી સમાધીઓ આવેલી છે. આ સમાધિઓ આશ્રમની પાંચસો વર્ષની ઉજળી પરંપરાની સાક્ષીરૂપ છે.

         સમાધિસ્થાનની બાજુમાં ભંડાર આવેલા છે જેમાં માતા અન્નપુર્ણા સદેહે વસતા ગણાય છે. લાખો માનવીઓએ અહીં પ્રસાદ પ્રાપ્ત કરી ક્ષુધાતૃપ્ત કરી છે. મંદિરમાં બહારથી દર્શનાર્થે આવેલ દર્શનાર્થીઓ ઇચ્છે તો અહીં નિવાસ કરી શકે છે તેમજ પ્રશાદ વડે ક્ષુધા પણ સંતોષી શકે છે

       ભંડારની બાજુમાં જ વિશાળ ગૌશાળા આવેલી છે. ગૌશાળામાં ઉત્તમ ગાયોનો ઉછેર અને તેમની સેવા કરવામાં આવે છે. તેમને જરૂરી ઘાસચારો અને પાણી વગેરેથી તૃપ્ત કરવામાં આવે છે. કેટલાક લોકો ગાયોને ઘાસચારો વગેરે નાખવાની બાધા પણ રાખતા હોય છે. આ ગાયોનો વંશવેલો શ્રી પૂ.લબ્ધરામસ્વામીના સમયથી ચાલ્યો આવે છે.

 

          ગૌશાળાને અડીને આવેલી ઇમારતમાં યાત્રિકો માટે નિવાસની સગવડ છે. આ નિવાસ સ્થાનમાં યાત્રાળુને આવશ્યક પાગરણ-પથારી આદિની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે યાત્રિક નિવાસની બાજમાં જ આવેલી ઇમારત ઉપર સભાગૃહ તેમજ આચાર્યશ્રીના નિવાસની વ્યવસ્થા કરેલી છે. આશ્રમના સંતાદિ મહાત્માઓના નિવાસ માટે તેમજ ભજનભાવ માટે મેડીબંધ મકાનોની હારમાળા છે. આમ સંત-મહંતથી માંડીને સામાન્ય યાત્રિક સુધીના દર્શનાર્થી માટે અહીં સંપૂર્ણ સગવડ ઉપલબ્ધ છે.

      એક માન્યતા અનુસાર મહાભારત થઇ ગયેલા પ્રખ્યાત પાન્ડુપુત્ર મહારાજા યુધિષ્ઠિરે રાયકા જાતિને "દેસાઇ" પદવી આપેલી. આ રાયકા કે દેસાઇ રબારી, ભરવાડ વગેરે જાતિઓ આશ્રમને પ્રતિ વર્ષ ટેલ કે ગુરુભેટરુપે જે દ્ર્વ્ય આપે છે  તેમાંથી આશ્રમનો નિભાવ થાય છે. અન્ય યાત્રિકો પણ યથાશક્તિ મદદ કરતા હોય છે. આથી અન્નક્ષેત્ર પણ ચાલુ રહિ શકે છે.

       આશ્રમની માલિકીની જમીન પણ છે, જેમાં ખેતી કરવામાં આવે છે. તેની ઉપજનો પણ આશ્રમ અને અન્નક્ષેત્રમાં ઉપયોગ કરવામાં  આવે છે.

 

        ઉપરોક્ત દેસાઇ જાતિમાંથી દીક્ષા લઇ પોતાનુ સમગ્ર જીવન પ્રભુ પ્રીત્યર્થે ગાળનાર અનેક સંત મહાત્માઓ થઇ ગયા. તેમાંના ઘણાએ વેદવેદાંગનો અભ્યાસ કરી વિદ્વતામાં પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. કેટલાકે યોગાભ્યાસ દ્વારા આત્મ-ઉન્નતિ સાધી. ઉજ્વળ જીવન અને ભવ્ય પ્રતિભા એ અહીંના સંતોની વિશેષતા રહી છે.

        આ સંતો અને સંત મંડળીઓ આશ્રમમાંથી ગુજરાત ના તેમજ દેશના જુદા જુદા ભાગમાં ફરતી રહી પ્રભુભક્તિનો ઉપદેશ આપે છે તેમજ આશ્રમોમાં રહી ઇશ્ર્વરોપાસના કરે છે. આ આશ્રમનુ સ્થાન એક દષ્ટિએ વિષિષ્ટ છે.

 
 
 
 

આશ્રમ પરિચય  !  વડવાળાધામ દર્શન  !  ગુરુવર્ય અને મહંતશ્રીઓ  !  સંત સમાધિ દર્શન  !  દુધરેજ