ધર્મસ્થાન વિભાગ -  વડવાળા ધામ - દુધરેજ

 

આશ્રમ પરિચય

વડવાળાધામ દર્શન

ગુરુવર્ય અને મહંતશ્રીઓ

સંત સમાધિ દર્શન
 
 
 
 
 
 
 
 
 
 

 
 

 વડવાળા ધામ દર્શન

 

 

શ્રી દૂધરેજ વડવાળા મંદિર પૂર્વાભિમુખ છે. તેમાં પ્રવેશવાના ત્રણ માર્ગ છે. પૂર્વમાં સિહદ્વાર છે.

 

 

ઉત્તરમાં નંદિદ્વાર અને

 

દક્ષિણમાં હસ્તિદ્વાર શોભે છે.

          આ ત્રણે દ્વાર દ્વારા પોતે પોતાની દ્ર્ષ્ટીએ ઉત્કૃષ્ટ કારીગરીના નમૂના રૂપ છે. આ ત્રણ દ્વારોએ ત્રિગુણાત્મક પ્રકૃતિને પોતાની હઠ છોડી ઇશ્વર શરણ જવા માટેના ઉદારતાથી આપેલા માર્ગ છે. તો બીજી બાજુ એમ લાગે છે કે કામ, ક્રોધ અને લોભના ત્રિવિધ તાપથી બચવા માટે એક માત્ર સાધન છે. કામ, ક્રોધ અને લોભથી બચવા માનવી ઘણા સમયથી પ્રયત્નશીલ છે. તેમાથી છૂટવા મથતા માનવી ને બચાવવા ભગવાન પશુપતિ એ જાણે કે  ત્રણ દ્વાર ખુલ્લા મુક્યા છે. આ ત્રણેય દ્વારો પર ત્રણ ઘૂમટો આવેલા છે. ત્રણેય ઘૂમટોની શોભા અવર્ણીય છે.

          મંદિરના પૂર્વ તરફના સિંહદ્વારથી પ્રવેશતા ઉત્તરમાં વિઘ્નહર્તા ગણપતિની વિશાળ ઊભી મૂર્તી છે. અપ્રતીમ કલા કારીગરીયુક્ત આ પ્રતિમા ભવ્ય છે.

         ગણપતિની બરાબર સામે અર્થાત સિંહદ્બારની દક્ષિણે હનુમાનજીની વિરાટ અને અત્યંત પ્રભાવશાળી મૂર્તિ છે. અત્યંત આકર્ષક અને તેજસ્વી આ વિશાળ મૂર્તી દર્શન કરનારના હ્રદયમાં અનેરો આનંદ ઉત્પન્ન કરે છે.

 

 

          અહીંથી પગથીયા ચડી આગળ જતાં મધ્ય ભાગના વિશાળ ઘૂમટની નીચે પહોંચીએ છીએ. મધ્યના સિંહદ્વારના અને બાજુના નંદિદ્વાર તથા હસ્તીદ્વારના ત્રણ ઘૂમટ મળીને વિશાળ ચોક બનાવે છે. આ ચોકના અંત ભાગમાં બેસવા માટેના ઊંચી બેઠકવાળા ઓટા છે. ઘૂમટનો મધ્ય ભાગ સંતો અને ભક્તોને પોતાની શીતળ છાયા નીચે આશ્રય અને વિશામો પૂરો પાડે છે.

         ઘૂમટના પથ્થરમાં નવ ગ્રહનાં સુંદર ચિત્રોની રમણીયતા આંખને આકર્ષી રહે છે. આ નવે ગ્રહો વટનાથ અથવા ભગવાન શ્રીરામના શરણે આવેલાને સદૈવ અનુકૂળ રહેવા ચૂપચાપ બેસી ગયા હોય એમ લાગે છે.

       ઘૂમટ નીચેના વિશાળ ચોકમાં ભગવાનના મંદિર આડે જડી દીધેલ જાળીમાંથી ભગવાનનાં દર્શન કરી શકાય છે. તેમજ તે જાળીમાંથી અંદર પ્રવેશી બધા ભગવાનના વધુ નિકટતાથી દર્શન કરી શકાય છે. અંદર પ્રવેશતા પાંચ દેવો બિરાજેલા છે તેમા ડાબી તરફથી જમણી તરફ જતા અનુક્રમે શ્રી દ્વારકાનાથજી, શ્રી વટનાથ, ભગવાન શ્રીરામચંદ્રજી, સ્વામી ષટપ્રજ્ઞદાસજી અને ભગવાન શ્રી શંકર એમ પાંચ દેવો બિરાજેલા છે. એ પાંચ દેવો એ પ્રકૃતી દેવીએ નિર્માણ કરેલા આકાશાદિ પાંચ તત્વોનું મૂર્તિમંત સ્વરૂપ હોય એમ શોભે છે. મંદિરના પૂર્વ તરફના પાછલા ભાગમાં એટલે કે સિંહદ્વારના ઇશાન ખૂણે શ્રી ષટપ્રસાદજી મહારાજે વાવેલ વિશાળ વટવૃક્ષ છે.

 

 

         વર્તમાન મહંત શ્રી કનીરામદાસ બાપુએ મહા સુદ સાતમ ને મંગળવાર, તા.૧૫-૨-૨૦૦૫ થી મહાસુદ પૂનમ ને ગુરુવાર, તા.૨૪-૨-૨૦૦૫ સુધી, પૂ.શ્રી મોરારિબાપુની રામ કથાનું આયોજન કરેલુ. આ સમય દરમ્યાન શ્રી ૧૫૧ કુંડી વડવાળા મહાવિષ્ણુયાગ યજ્ઞ, સુવર્ણ કલશ મહોત્સવ, શ્રી સદૂગુરુ ભંડારો અને ધર્મસ્થંભ સ્થાપના નુ આયોજન કરવામાં આવેલુ. લાખો ભાવિકોએ આ પ્રસંગે દર્શનનો લાભ લીધેલો.

        આમ ભગવાન વટનાથના નામે ઓળખાતું આ સુંદર મંદિર કલાકારીગરીના ધામ સમાન છે. વિદ્વાનોને પણ એ જોવાનુ મન થાય એવી શૈલીએ બંધાયેલું આ મંદિર જિલ્લામાં વિશિષ્ટ ભાત પાડે છે.

 
 

આશ્રમ પરિચય  !  વડવાળાધામ દર્શન  !  ગુરુવર્ય અને મહંતશ્રીઓ  !  સંત સમાધિ દર્શન  !  દુધરેજ